Friday 19 April 2013


આજ નુ "જ્ઞાન" ...." રામ-રાવણ અને રામાયણ "

આજ ના રામનવમી ના દિવસે જાણો 
રામ-રાવણ અને રામાયણ વિશેની 25 રસપ્રદ વાતો
ભગવાન શ્રી રામના જીવનનું વર્ણન આમ તો ઘણાં ગ્રંથોમાં મળે છે, પણ આ બધામાં વાલ્મિકી રામાયણને જ સૌથી ચોક્કસ માનવામાં આવે છે.

1 - રામાયણ મહાકાવ્યની રચના મહર્ષિ વાલ્મિકીએ કરી છે. આ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક, પાંચ સો ઉપખંડ તથા ઉત્તર સહિત સાત કાંડ છે. જે સમયે રાજા દશરથે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો ત્યારે તેનું આયુષ્ય લગભગ 60 હજાર વર્ષની હતી.

2 - રામાયણ અનુસાર રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞના મુખ્ય ઋષિ તરીકે ઋષ્યશૃંગે સંપન્ન કર્યો હતો. ઋષ્યશૃંગના પિતાનું નામ વિભાંડક હતું, એક દિવસ નદીમાં સ્નાન કરતા વીર્યપાત થયેલું અને તે હરણીએ પી લીધું હતું, જેના ફળ સ્વરૂપે ઋષ્યશૃંગનો જન્મ થયો હતો.

3 - વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય, મંગળ, શનિ, ગુરુ વિરાજમાન હતા. ભરતનો જન્મ પુષ્યનક્ષત્ર તથા મીન લગ્નમાં થયો હતો, જ્યારે લક્ષમ્ણ અને શત્રુઘ્નનો જન્મ આશ્લેષા નક્ષત્ર અને કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય પોતાના ઉચ્ચ સ્થાનમાં વિરાજમાન હતા.

4 - તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસમાં વર્ણન છે કે રામજીએ સીતા-સ્વયંવરમાં શિવધનુષ ઉઠાવી અને પ્રત્યંચા ચઢાવતા સમયે તૂટી ગયું હતું, જ્યારે વાલ્મિકી દ્વારા રચિત રામાયણમાં સ્વયંવરનું વર્ણન જ નથી. રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ તથા લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્રની સાથે મિથિલ પહોંચ્યા તો વિશ્વામિત્રએ જ રાજા જનકથી શ્રી રામને તે શિવધનુષ જોવા માટે કહ્યું. ત્યારે ભગવાન શ્રી રામે રમતા-રમતા જ તે ધનુષને ઉઠાવી લીધું અને તે તૂટી ગયું. રાજા જનકે સંકલ્પ લીધો હતો કે શિવજીનું ધનુષ્ય જે ઉઠાવશે અને તુટી જશે તે પોતાની પુત્રી સીતાના લગ્ન કરી દેશે.

5 - રામચરિત માનસ અનુસાર સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા, જ્યારે રામાયણ અનુસાર વિવાહ પછી જ્યારે રામજી અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે પરશુરામનું મિલન થયું હતું. શ્રી રામે પરશુરામનું બાણ ચઢાવી દીધું તે જોઈને તે ત્યાંથી ચાલ્યા ગયા હતા.

6 - જે સમયે ભગવાન શ્રી રામ વનવાસ ગયા, તે સમયે તેની ઉમર 27 વર્ષની હતી. રાજા દશરથ શ્રી રામને વનવાસમાં મોકલવા નહોતા ઈચ્છતા પણ તે વચન બદ્ધ હતા. જ્યારે શ્રી રામને રોકવાના કોઈ ઉપાય ન સુઝ્યો ત્યારે તેમણે કહ્યું કે તું મને બંદી બનાવીને રાજા બની જા.

7 - જ્યારે લક્ષ્મણે શ્રી રામને વનવાસ આપવાના સમાચાર મળ્યા ત્યારે ખૂબ ક્રોધિત થઈ ગયા અને તેને પોતાના પિતા દશરથ સાથે જ યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું, રામના સમજાવાથી તે શાંત થયા.

8 - રાજા દશરથે જ્યારે શ્રી રામને વનવાસ જવાનું કહ્યું ત્યારે તેમણે ધન-દોલત, એશ્વર્યનો સામાન, રથ વગેરે શ્રી રામને આપવાની ઈચ્છા કરી, પણ કૈકેયીએ તેને અટકાવી દીધા.

9 - પોતાના પિતા રાજા દશરથના મૃત્યુનો આભાસ ભરતને પહેલા જ એક સ્વપ્નના માધ્યમથી થઈ ગયા હતા. સપનામાં ભરતે રાજા દશરથને કાળા વસ્ત્ર પહેરાવી દીધા હતા. તેની ઉપર પીળા રંગની સ્ત્રીઓ પ્રહાર કરી રહી હતી. સપનામાં રાજા દશરથ લાલ રંગના ફૂલોની માળા પહેરેલી અને લાલ ચંદન લગાવેલા ગધેડા જોડેલા રથમાં બેસીને દક્ષિણ (યમની દિશા) તરફ જઈ રહ્યા હતા.

10 - હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે, જ્યારે રામાયણના અરણ્યકાંડના ચૌદમાં સર્ગના ચોદમા શ્લોકમાં માત્ર 33 દેવતા જ જણાવાયા છે. તેના અનુસાર બાર આદિત્ય, આઠ વસુ, અગીયાર રુદ્ર અને બે અશ્વિની કુમાર, આ જ કુલ 33 દેવતા છે.

11 - સીતાહરણ કરતા સમયે જટાયુ નામના ગીદ્ધે રાવણને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. રામાયણ અનુસાર આ જટાયુના પિતા અરૂણ જણાવાયા છે. આ અરુણ જ ભગવાન સૂર્યદેવના રથને સારથી છે.

12 - એ વાત બધા જાણે છે કે લક્ષ્મણ દ્વારા શૂર્પર્ણખાના નાક-કાન કાપવાથી ક્રોધિત થઈને રાવણે સીતાનું હરણ કર્યું હતું પણ સ્વયં શુર્પર્ણખાએ પણ રાવણનો સર્વનાશ થવાનો શ્રાપ આપ્યો હતો. કારણ કે રાવણ જ બહેન શુર્પર્ણખાનો પતિ વિદ્યુતજિવ્હ હતો. તે કાળકેય નામના રાજાનો સેનાપતિ હતો. રાવણ જ્યારે વિશ્વયુદ્ધ પર નીકળ્યો તો કાળકેય સાથે તેનું યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણે વિદ્યુતજિવ્હનો વધ કર્યો. ત્યારે શૂર્પર્ણખાએ મનમાંને મનમાં રાવણને શ્રાપ આપ્યો કે મારા કારણે તારો સર્વનાશ થશે.

13 - જે દિવસે રાવણ સીતાનું હરણ કરી અશોકવાટિકામાં લાવ્યો, તે રાતના ભગવાન બ્રહ્માનું કહેવાથી દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લઈને આવ્યા, પહેલા દેવરાજે અશોકવાટીમાં રહેલા બધા રાક્ષસોને મોહિત કરી સુવડાવી દીધા, ત્યાર પછી માતા સીતાને ખીર અર્પણ કરી કે જેના ખાવાથી સીતાજીની ભૂખ-તરસ શાંત થઈ ગઈ.

14- જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં સીતાની ખોજ કરી રહ્યા હતા. તે સમયે કબંધ નામના રાક્ષસનો રામ-લક્ષ્મણે વધ કર્યો. ખરેખર તો કબંધ એક શ્રાપના કારણે આવો થઈ ગયો હતો. જ્યારે રામે તેના શરીરને ભસ્મ કર્યું તો તે શ્રાપથી મુક્ત થઈ ગયો. કબંધે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાનું કહ્યું હતું.

15 - રામચરિતમાનસ અનુસાર સમુદ્રએ લંકા જવા માટે રસ્તો ન આપ્યો તો લક્ષ્મણ ક્રોધિત થયા હતા. જ્યારે રામાયણમાં વર્ છે કે લક્ષ્મણ નહીં પણ રામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા અને તેણે સમુદ્રને સુકાઈ જાય તેવું બાણ છોડ્યું હતું. ત્યારે લક્ષ્મણ તથા અન્ય લોકોએ ભગવાન શ્રી રામને સમજાવ્યું હતું.

16 - બધા જાણે છે કે સમુદ્ર પર પુલનું નિર્માણ નળ નામના વાંદરાએ કર્યું હતું. કારણ કે તેને શ્રાપ મળ્યો હતો કે તેના દ્વારા પાણીમાં ફેંકવામાં આવેલી વસ્તુ પાણીમાં ડૂબશે નહીં, જ્યારે વાલ્મિકી રામાયણ અનુસાર નળ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માના પુત્ર હતો અને તે સ્વયંપ પણ શિલ્પકળામાં નિપુણ હતો. પોતાની આ કળાથી તેને સમુદ્ર પર સેતુનું નિર્માણ કર્યું હતું.

17 - રામાયણ અનુસાર સમુદ્ર પર પુલ બનાવવામાં પાંચ દિવસનો સમય લાગશે. પહેલા દિવસે વાંદરાઓએ 14 યોજન બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ પ્રકારે કુલ 100 યોજન લાંબો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો.

18 - એકવાર રાવણ કૈલાસમાં ગયો તો તે નંદિને જોઈને હસવા લાગ્યો અને નંદિને વાંદરા જેવા મુખ વાળો કહ્યો તેથી ક્રોધિત થઈ નંદીએ શ્રાપ આપી દીધો કે વાંદરના હાથે તારું સર્વનાશ જશે.

19 - રામાયણ અનુસાર જ્યારે રામાયણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ઉપાડી લીધો હતો ત્યારે માતા પાર્વતી ભયભીત થઈ ગયા હતા અને તેને રાવણને શ્રાપ આપ્યો હતો કે તમારું મૃત્યુ કોઈ સ્ત્રીના કારણે જ થશે.

20 - જે સમયે રામ-રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે દેવરાજ ઈન્દ્રએ પોતાનો દિવ્યરથ શ્રી રામ માટે મોકલ્યો હતો. તે રથમાં બેસીને જ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.

21 - જ્યારે ઘણાં સમય સુધી રામ-રાવણનું યુદ્ધ ચાલતું રહ્યું ત્યારે અગત્સ્ય મુનિએ શ્રી રામને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું, જેના પ્રભાવથી ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો.

22 - રામાયણ અનુસાર રાવણ જે સોનાની લંકામાં રહેતો હતો, તે લંકા પહેલા રાવણના ભાઈ કુબેરની હતી. જ્યારે રાવણે વિશ્વ વિજય પર નીકળ્યો હતો તો તેને પોતાના ભાઈ કુબેરને હરાવીને સોનાની લંકા તથા પુષ્પક વિમાન પર કબ્જો કરી લીધો.

23 - રામાયણ અનુસાર એક વાર રાવણ પોતાનું પુષ્પક વિમાનથી વિહાર કરી રહ્યો હતો, ત્યારે તે એક સુંદર સ્ત્રી જોવા મળી, તેનું નામ વેદવતી હતું. ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી રહી હતી. રાવણે તેના વાળ પકડ્યા અને પોતાની સાથે ચાલવા કહ્યું. તે તપસ્વિનીએ તે ક્ષણે પોતાનો દેહ ત્યાગી દીધો અને રાવણને શ્રાપ આપ્યો કે એક સ્ત્રીના કારણે જ તારું મૃત્યુ થશે. તે સ્ત્રી બીજા જન્મમાં સીતાના રૂપમાં જન્મ લીધો.

24 - રાવણ જ્યારે વિશ્વ વિજય પર નીકળ્યા તો તે યમલોક પણ જઈ પહોંચ્યો. ત્યાં યમરાજ અને રાવણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે યમરાજે રાવણના પ્રાણ લેવા માટે કાળદંડનો પ્રયોગ કરવા ઈચ્છ્યો તો બ્રહ્માએ એવું કરતા અટકાવ્યા કારણ કે કોઈ દેવતા દ્વારા રાવણનો વધ શક્ય ન હતો.

25 - રાવણના પુત્ર મેઘનાદે જ્યારે યુદ્ધમાં ઈન્દ્રને બંદી બનાવ્યો તો બ્રહ્માજીએ દેવરાજ ઈન્દ્રને છોડીને કહ્યું ઈન્દ્ર પર વિજય પ્રાપ્ત કરવાના કારણે જ મેઘનાદ ઈન્દ્રજીતના નામથી વિખ્યાત થયો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment