Saturday 8 November 2014


જીવન માં વિચારવા જેવું .....

સ્વપ્ન ત્યાં સુધી સપના જ રહેશે.
જ્યા સુધી તમે મહેનત કરી આકાર નહી આપો.
એટલુ યાદ રાખવું કે..... 
આપણે પાણી ને હાથ માં નથી પકડી સકતા
પરતું બરફ અવશ્ય હાથ માં ટકી શકે છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." તક ઝડપી લો "

એક યુવાનની ઇચ્છા હતી કે રાજ્યના પ્રધાનની અતિ સુંદર દીકરી સાથે તેનાં લગ્ન થાય. એક દિવસ તે હિંમતથી પોતાની ઇચ્છા જણાવવા પ્રધાન પાસે ગયો.

પ્રધાને તેને નજરથી માપીને કહ્યું, ‘દીકરા, મારી એક શરત છે. જે મારી પરીક્ષામાં પાસ થશે તેને જ હું મારી પુત્રી પરણાવીશ. તું સામેના મેદાનમાં જઈને ઊભો રહે. હું ત્રણ આખલા છૂટા મૂકીશ. એક પછી એક એ ત્રણે મેદાનમાં દાખલ થશે અને ત્યારે એમાંના એકની પણ પૂંછડી તું પકડી શકીશ તો મારી દીકરી તને પરણાવીશ.’

યુવાન તો મેદાનમાં જઈને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં એક હૃષ્ટપુષ્ટ અને જંગલી આખલો મેદાનમાં પ્રવેશ્યો. યુવાને આવો આખલો અગાઉ કદી જોયો નહોતો. તેણે મનોમન નક્કી કર્યું કે આના કરતાં હવે પછી જે આખલો આવે એની પૂંછડી પકડવી બહેતર રહેશે. આથી તે બાજુ પર ખસી ગયો અને પેલા જંગલી આખલાને પસાર થઈ જવા દીધો.

થોડી વાર બાદ બીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. આ આખલો તો વળી પહેલાં આખલા કરતાં પણ વધારે મહાકાય અને ઝનૂની હતો. છીંકોટા નાખતો એને ધસી આવતો જોઈને યુવાને વિચાર્યું કે હવે પછી ત્રીજો આખલો જેવો પણ હોય એવો, આ ઝનૂની આખલા કરતાં તો સારો જ હશે એટલે બીજા આખલાની સામેથી પણ તે ખસી ગયો.

થોડી વાર બાદ ત્રીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. ત્રીજા આખલાને જોતાં જ યુવાન ખુશીથી ઝૂમી ઊઠ્યો. આ આખલો તો સાવ નબળો હતો. આવો કૃશકાય આખલો તો તેણે કદી દીઠો નહોતો. એ આખલાને પોતાના તરફ આવતો જોઈને તેણે દોડવાનો આરંભ કર્યો. બરાબર યોગ્ય ક્ષણે યુવાને છલાંગ લગાવીને આખલાની પૂંછડી પકડવાની કોશિશ કરી. અરે, આ શું? પેલા આખલાને પૂછડી જ નહોતી! યુવાનના હાથમાં પૂછડી ન આવી અને પ્રધાનપુત્રીને પરણવાનાં સપનાં પૂરાં થયાં નહીં.

જિંદગીમાં પણ તકો મળતી રહે છે. તકથી ભરપૂર જિંદગીમાં અમુક તક મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ પછી આગળ વધારે સારો અવસર પ્રાપ્ત થશે એવી આશા રાખી પાસે આવેલી તકને ગુમાવી દઈએ તો એવી તક ફરી કદાચ ક્યારેય ન સાંપડે. આથી જીવનમાં મળેલો દરેક અવસર કે તક સરળ હોય કે મુશ્કેલ, વધુ વિચાર કરીને વાર લગાડવા કરતાં અને વધુ સારી તકની લાલચ કર્યા વિના તરત ઝડપી લેવી જોઈએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." ધન ભેગું કરવું છે ? "

કાબાના એક સંત પોતાનો આશ્રમ બનાવવા ધન ભેગું કરવા નીકળ્યા. સમાજના અમીર-ઉમરાવ, બાદશાહ, સુલતાન વગેરે પાસે પોતાની ઝોળી લાંબી કરી અને બધાએ તેમની ઝોળી સોનામહોરોથી ભરી દીધી. 

આશ્રમ માટે વધુ ને વધુ ધન એકઠું કરવા તેઓ ફરતા હતા ત્યારે ફરતાં-ફરતાં સંત રાબિયા જ્યાં રહેતાં હતાં એ પ્રદેશમાંથી પસાર થયા. 

કાબાના સંતે વિચાર્યું, ‘સંત રાબિયાની ખ્યાતિ-શાખ ઉચ્ચતમ છે. લાવ, તેમનાં દર્શન કરું અને તેમને મારી સાથે આશ્રમ માટે ધન ભેગું કરવા આવવાની વિનંતી કરું. તેઓ સાથે હશે તો વધુ ને વધુ દાન મળશે.’

આવું વિચારીને તેઓ સંત રાબિયાને ત્યાં ગયા. રાબિયાએ સ્નેહભાવથી સંતનું સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. પોતાના હાથે ભોજન બનાવીને રાબિયાએ સંતને જમાડ્યા અને પછી પોતે ભોજન કર્યું. તેમણે થોડી વાર સ્ાત્સંગ કર્યો અને નમાજ પઢવા ચટાઈ આપી. રાત્રે સૂવા માટે પાટ પર શેતરંજી પાથરી આપી અને પોતે જમીન પર કંતાન પાથરીને સૂઈ ગઈ.

સંતને શેતરંજી પર ઊંઘ આવતી નહોતી, કારણ કે તેઓ જાડા ગાદલા પર સૂવા ટેવાઈ ગયા હતા. વળી પાછી મેળવેલા ધનને સાચવવાની ચિંતા અને વધુ ધન મેળવવાની ચાહના હતી. રાબિયાને તો સૂતાંની સાથે જ ગાઢ ઊંઘ આવી ગઈ. પેલા સંત તો આખી રાત પડખાં ફેરવતા રહ્યા.

રાબિયાને શાંતિથી સૂતેલી જોઈને સંત વિચારતા હતા કે રાબિયાને કઠણ જમીન પર કેવી રીતે ઊંઘ આવી ગઈ. એ વિશે તેમણે સવારે રાબિયાને પૂછ્યું.

રાબિયાએ કહ્યું, ‘હે મહાત્મા, મારી નાનકડી ઝૂંપડી મને મહેલ જેવી લાગે છે. મારી ઝૂંપડીમાં એક સમયનું ભોજન હોય તો હું મને પરમ ભાગ્યશાળી માનું છું. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે મને ખબર જ નથી પડતી કે મારી નીચે ગાદલું છે કે કંતાન. હું આખા દિવસમાં કરેલાં સત્કર્મોને યાદ કરીને કોઈ જ ચિંતા વિના, અલ્લાહનું સ્મરણ કરીને આરામથી સૂઈ જાઉં છું.’ 

સંત સાનમાં સમજી ગયા.

સંતે જવા માટે વિદાય માગી ત્યારે રાબિયાએ પૂછ્યું, ‘ધન ભેગું કરવા માટે શું હું પણ આપની સાથે આવું?’ 

સંતે જવાબ આપ્યો, ‘દુનિયાનું પરમ સુખ શેમાં છે એ તમે મને બતાવી દીધું છે. હવે મારે કોઈ આશ્રમની જરૂર નથી.’ 

કાબા પાછા ફરીને તેમણે ભેગું કરેલું ધન ગરીબોને વહેંચી દીધું અને પોતે ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જગત માં અંજવાળુ કરે તેનું નામ સૂર્ય
અને .....
અતંરઆત્મા માં અંજવાળુ કરે તેનું નામ ધર્મ .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." સૌથી મહાન કોણ ? "

એક વાર દેવર્ષિ નારદના મનમાં એવું જાણવાની ઇચ્છા થઈ કે આ સૃષ્ટિમાં સૌથી મોટું કોણ? સૌથી મહાન કોણ?

પોતાના મનના આ પ્રશ્નનો જવાબ શોધવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. અંતે પોતાની જિજ્ઞાસા લઈને તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે ગયા.

વૈકુંઠ પહોંચી નારદજીએ ભગવાન વિષ્ણુને મનની વાત જણાવતાં પૂછ્યું, ‘પ્રભુ, આપ જ મારા મનના પ્રશ્નનું સમાધાન કરો કે સૌથી મહાન કોણ?’

વિષ્ણુ ભગવાને કહ્યું, ‘હે નારદ, સૌથી મોટી તો પૃથ્વી દેખાય છે, પરંતુ એ સત્ય પણ છે કે પૃથ્વી સમુદ્રથી ઘેરાયેલી છે. એથી પૃથ્વી સૌથી મોટી નથી.’

નારદજીએ કહ્યું, ‘તો પ્રભુ, સમુદ્ર સૌથી મોટો?’

વિષ્ણુજીએ કહ્યું, ‘સમુદ્ર મોટો, પણ સૌથી મોટો નહીં; કારણ કે સમુદ્રને અગસ્ત્ય મુનિ પી ગયા હતા. એથી અગસ્ત્ય ઋષિ વધુ મોટા કહેવાય. પરંતુ હાલમાં તો તેઓ અનંત આકાશના એક નાનકડા ભાગમાં એક આગિયાસમ તારારૂપે પ્રકાશી રહ્યા છે. એથી તેઓ મોટા નથી.’

નારદજી બોલ્યા, ‘પ્રભુ, તો અનંત આકાશ સૌથી મોટું ગણાય, ખરુંને?’

વિષ્ણુજી મલકીને જવાબ આપ્યો, ‘ના, આકાશને તો મેં વામન અવતારમાં એક ડગલામાં માપી લીધું હતું. એથી વામન સામે તો આકાશ નગણ્ય છે.’

નારદજીએ જરા કટાક્ષમાં કહ્યું, ‘તો પ્રભુ, આપ આપબડાઈ હાંકી એમ જણાવવા માગો છો કે સૌથી મોટા અને મહાન તમે જ છો?’

ભગવાન વિષ્ણુએ સ્મિત કરી નારદજીની સમીપ જઈને કહ્યું, ‘ના, નારદજી. હું પણ મોટો કે મહાન નથી, કારણ કે હું તો તમારા મુઠ્ઠી જેવડા હૃદયમાં એક નાનકડી અંગૂઠા જેટલી જગ્યામાં હું રહું છું, તેથી તમે જ સૌથી મોટા કહેવાઓ. વાસ્તવમાં ભક્તના હૃદયમાં જ હું રહું છું. તેથી સાચો ભક્ત જ જગતમાં સૌથી મહાન છે. એથી નારદજી, આપ સૌથી મોટા અને મહાન છો.’

નારદજીએ પ્રભુનાં ચરણોમાં વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." ભગવાન મળે તો બધું મળે "

સાવરકુંડલાની પાસે એક ગામડામાં મંગા નામના હરિજનને ભક્તિ કરતાં-કરતાં ભગવાન મળ્યા. આ વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. 

ભાવનગરના મહારાજાના કાને પણ આ વાત પહોંચી. મહારાજે દીવાનજીને પૂછ્યુ, ‘આ મંગા નામના હરિજનને ભગવાન મળ્યા એ વાત સાચી?’ 

મંત્રીએ કહ્યું, ‘હા મહારાજ. સાંભળ્યું તો મેં પણ છે.’ 

મહારાજાએ કહ્યું, ‘ચાલો, જઈને તપાસ કરીએ. કંઈ ધતિંગ તો નથીને!’

રાજાનો રસાલો તૈયાર થયો. ભાવનગરના મહારાજા મંગાના ગામડે આવ્યા. ગામની બહાર નાનો કૂબો. એ કૂબામાં મંગો હરિજન રહે. ભગવાનનો એવો પરમ ભક્ત! સાવ નર્મિળ માણસ, નીતર્યું પાણી. પોતાની ભક્તિની મસ્તીમાં રત.

રસાલા સાથે મહારાજા શોધતાં-શોધતાં આવ્યા તો ગામમાં બધાને ખબર પડી ગઈ કે ભાવનગરના મહારાજા આવ્યા છે. ગામ આખું ભેગું થઈ ગયું. મહારાજાએ પૂછ્યુ, ‘મંગો ક્યાં છે?’ 

એક જણે કહ્યું, ‘આ રહ્યો, આ ઝૂંપડું તેનું.’

મહારાજા ઝૂંપડા તરફ ગયા.

કોઈકે દોડીને મંગાને કહ્યું, ‘મંગા, તને ભાવનગરના મહારાજા મળવા આવ્યા છે.’ 

મંગો ઝૂંપડામાંથી બહાર આવ્યો. ‘બાપુ, તમે? તમે મારે ઝૂંપડે?’ 

એકદમ પગમાં જ પડી ગયો.

મહારાજાએ પૂછ્યુ, ‘તું જ મંગો?’ 

‘હા બાપુ.’ 

‘સાંભળ્યું છે તને ભગવાન મળ્યા છે!’ 

મંગાએ નિખાલસતાથી કહ્યું, ‘હા બાપુ, મને ભગવાન મળ્યા છે.’

મહારાજા થોડી કરડાકીથી બોલ્યા, ‘પણે એની સાબિતી શું? તું કહે એટલે હું થોડું માની લઉં?’

મંગાએ નમ્રતાથી મુખ પર સ્મિત સાથે કહ્યું, ‘બાપુ! તમે મારે કૂબે આવીને ઊભા રહ્યા એ જ સાબિતી. નહીં તો તમે ભાવનગરના મહારાજા. તમને મળવા અમે ભાવનગર આવીએ તો પણ કોઈ મળવા ન દે, કોઈ ઘૂસવા ન દે. એને બદલે ભાવનગરનો ધણી સ્વયં મારે ઝૂંપડે આવીને ઊભો રહે એ જ મોટી સાબિતી!’

ભાવનગરના ધણીએ ભક્ત મંગાને વંદન કર્યા અને બોલ્યા, ‘ભગવાન મળે તેને બધું જ મળે, તેને બધા જ મળે.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

માનવી ના જીવન માં 
"આળસ અમાસ" નું કામ કરે છે.
અને ....
"પુરૂસાર્થ પુનમ" નું કામ કરે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠