Sunday 20 July 2014

આજ ની "ટૂંકી વાર્તા"..." ભગવાનને કોણ જીવંત રાખે છે ? "

એક વખત એક દેવદૂત પૃથ્વી પર આવ્યો. તે અહીંની હવા જોઈને નવાઈ પામ્યો. અહીં તો ઈશ્વરને કોઈ ઓળખતું જ નહોતું. 

જ્યાં જુઓ ત્યાં મહત્વ માણસનું હતું. કોઈ અમલદાર પાછળ દોડે તો કોઈ શેઠિયા પાછળ, ભક્તો ને સાધુઓ પણ મોટા માણસનો આશ્રય શોધતા હતા.

અહીં આ પૃથ્વી પર ચારે બાજુ માણસની બોલબાલા હતી. ઈશ્વરને તો સૌએ મંદિરમાં શોભા બનાવીને રાખ્યો હતો.

મરણ આવે, ખરાબ નસીબ આવે તો ઈશ્વરે મોકલ્યાં અને જીવનમાં આટલાં વર્ષો મળ્યાં એ માણસને પોતાના પ્રતાપે મળ્યાં ગણાય! આવી ઊંધી રચના જોઈને દેવદૂતને બહુ લાગી આવ્યું.

તે તો દુ:ખી મન સાથે ઈશ્વર પાસે ગયો અને સત્ય હકીકત જણાવતાં કહ્યું, ‘ભગવન્! તમને તો સૌ ખીંટી જેવા માને છે. જે કોઈને મેલું લૂગડું લટકાવવું હોય તો તમારા ઉપર આવીને મૂકી દે. મને તો માણસ પણ માણસ જણાતો નથી. નફરત થઈ ગઈ માણસજાત પર.’

ભગવાને હસીને પ્રેમથી કહ્યું, ‘એવું નથી મારા ભોળા દેવદૂત! માણસમાં માણસ નથી એમ માણસો માને તો બરાબર છે, પણ જો દેવદૂતો એમ માનતા થાય તો-તો પછી હું પોતે પણ સ્થાન વિનાનો થઈ જાઉં! મારું પોતાનું કહેવાય એવું ઠેકાણું ક્યાં છે? તમે જ કહો, માણસ ન હોય તો મને ભગવાન ગણે કોણ? મને સર્વશક્તિમાન માને કોણ? અને માણસના મનમાં તો ‘હું’ પોતે રહું છું એટલે જો તમે માણસને નફરત કરશો તો મને પણ નફરત જ કરશો!’

દેવદૂતે કહ્યું, ‘પણ અરે પ્રભુ! તમે પોતે સંસારમાં જાઓ. તમને ક્યાંય માણસાઈ જોવા નહીં મળે.’

ભગવાને મલકીને વધુ પ્રેમથી કહ્યું, ‘જો દેવદૂત! સમજ હું માણસમાત્રમાં ફરી રહ્યો છું. માણસની મારફત હું જગતવ્યાપી બન્યો છું. જે એમ કહે છે ક્યાંય માણસ રહ્યો નથી તે જાણતો નથી કે તે એમ કહે છે કે ઈશ્વર નથી અને એથી તે નાસ્તિક છે. હજારો માણસો જોઈને નિરાશા પ્રાપ્ત કરનારો નહીં પણ એક ભલા માણસને જોઈને માણસાઈ અને માણસમાં આસ્થા રાખનારો જ મને જીવંત રાખે છે. મારું સ્થાન ભલે માણસોમાંથી ઊપડી જાય, પણ ખાતરી રાખજે; મારું સ્થાન કોઈ ને કોઈ માણસમાં તો જીવંત રહેશે! હજારો માણસોની પ્રાર્થના કરતાં એક સાચા હૃદયના માનવીની આર્તવાણી મને જીવંત રાખે છે.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment