Sunday 20 July 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." શ્રેષ્ઠ ભેટ "

સિખોના ગુરુ ગોવિંદ સિંહ યમુનાકાંઠે કથા કરતા હતા. ગરીબ-તવંગર બધા તેમની કથા સાંભળવા આવતા અને યથાશક્તિ ભેટ લાવતા. 

એક ગરીબ ડોશી ગુરુની ભક્ત હતી. તેને વિચાર આવ્યો કે ગુરુજી રોજ કથા કરે છે, તેમના ગળાને ખૂબ ખેંચાવું પડે છે એટલે લાવ હું તેમના માટે થોડુંક દૂધ અને ફળ ભેટ તરીકે લઈ જાઉં.

ડોશીમા બીજા દિવસે થોડાંક ફળ અને થોડું દૂધ લઈને કથામાં ગયાં.

ગુરુજીએ સુંદર કથા કરી. સમાપ્તિવેળાએ કથાનો સાર કહેતાં કહ્યું, ‘સૌથી મહાન પ્રેમ છે. અન્ય કાજે કંઈક કરી છૂટવાની લાગણી રાખવી, ત્યાગ કરીને મેળવવું એ જ સાચું જીવન છે.’

કથા પૂરી થતાં બધા ભેટ ધરવા આવવા લાગ્યા. કથા સાંભળવા આવેલા રાજા રઘુનાથ સિંહ ગુરુના પરમ ભક્ત હતા. તેમણે ઊભા થઈને બે રત્નકંકણ ગુરુ આગળ ધરી દીધાં. સોનાનાં કંકણ પર રત્ન-માણેક જડેલાં હતાં. બધે ઝગમગાટ થઈ ગયો.

પેલાં ડોશીમાના મનમાં થયું કે જ્યાં ગુરુનાં ચરણોમાં આવી મહામૂલી ભેટ ધરાતી હોય ત્યાં મારાં ફળ-દૂધની શું વિસાત! તેમણે ભેટ આપવાનો વિચાર માંડી વાળ્યો.

ગુરુજી મંડપમાં બધા સામે નજર ફેરવી રહ્યા હતા. ડોશીમા પગ નીચે કંઈક સંતાડતાં હતાં એ તેમણે જોયું અને તેમની મૂંઝવણ પારખી ગયા.

આ તરફ રાજા રઘુનાથ સિંહ પણ બધા તરફ અભિમાનથી જોઈ રહ્યા હતા કે મારા જેવી મોંઘી ભેટ કોઈ આપી જ ન શકે, આનાથી ચડિયાતી ભેટ શક્ય જ નથી. ગુરુજીએ એ પણ જોયું.

કંઈક વિચારીને ગુરુજી ઊભા થયા. તેમના હાથમાં બે રત્નકંકણ હતાં. તેમણે યમુનાકાંઠે જઈને રત્નકંકણોનો પાણીમાં ઘા કરી દીધો. જોનારા બધા સ્તબ્ધ થઈ ગયા. 

રઘુનાથજી બોલી ઊઠયા, ‘ગુરુજી, આ શું કર્યું?’

ગુરુજીએ કહ્યું, ‘મને પ્રેમસભર ભેટ જોઈએ, અભિમાનની ગંદકીવાળી નહીં.’ 

રાજા રઘુનાથજી સમજી ગયા અને ગુરુજીની માફી માગીને બેસી ગયા.

હવે ગુરુજીએ પેલાં વૃદ્ધ ડોશીમા પાસે જઈને કહ્યું, ‘અમ્મા! તારા પુત્ર માટે જરૂર કંઈક લાવી હશે. શું લાવી છે? જોને બોલી-બોલીને મારું ગળું દુ:ખે છે.’

આટલું કહીને ડોશીમા પાસેથી ભેટ લઈને દૂધ અને ફળ આરોગ્યાં અને બોલ્યા, ‘મા, દૂધ-ફળ તારા પ્રેમની મીઠાશથી અમૃત બની ગયાં છે.’

ડોશીમા ભેટ આપીને રાજી થયાં. ગુરુ શ્રેષ્ઠ ભેટ મેળવીને સંતોષ પામ્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment