Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." બે કોણ ? "

એક રાજા અને એક કવિ સાંજે સાથે લટાર મારવા નીકળ્યા હતા. વળતાં મોડું થયું અને અંધારું થઈ જતાં રસ્તો ભૂલી ગયા. અણસારના આધારે રસ્તો કાપતા હતા. સામે બે રસ્તા આવ્યા. હવે કયો રસ્તો લેવો એ બાબતે બન્ને મૂંઝાયા.

જીકમાં એક ઝૂંપડી હતી. આંગણામાં માજી બેઠાં હતાં. રાજા અને કવિ તેમની પાસે ગયા અને પૂછ્યું, ‘માજી, આ રસ્તો ક્યાં જાય છે?’

વૃદ્ધાએ બેઉની સામે ટગર-ટગર જોયું અને પછી કહ્યું, ‘આ રસ્તો તો અહીં જ રહે છે. ક્યાંય જતો નથી. હા આ રસ્તેથી યાત્રીઓ જાય છે. આપ કોણ?’

રાજાએ કહ્યું, ‘અમે યાત્રીઓ છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘યાત્રીઓ તો બે જ હોય છે. એક સૂરજ અને બીજો ચંદ્ર. આપ એ બેમાંથી કોણ છો?’

રાજાએ કહ્યું, ‘અમે મહેમાન છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘ખોટી વાત. અતિથિ તો બે જ હોય છે. એક ધન અને એક યોદ્ધા, પરંતુ આપ કોણ?

રાજાએ કહ્યું, ‘અમે રાજા છીએ.’

વૃદ્ધા બોલી, ‘રાજા પણ બે જ, એક યમ બીજો ઇન્દ્ર આપ કોણ છો?

વળતો જવાબ આપતાં રાજાએ કહ્યું, ‘અમે કામાવંત છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘કામાવંત તો બે જ છે. પૃથ્વી અને નારી, તમે એ બેમાંથી કોઈ નથી!

રાજાએ કહ્યું, ‘અમે પરદેશી છીએ.’

વૃદ્ધ માજીએ કહ્યું, ‘પરદેશી બે જ હોય, જીવ અને ઝાડનાં પાન.’

રાજાએ કંટાળીને કહ્યું, ‘અમે ગરીબ છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘ગરીબ બે જ, બકરી અને દીકરી.’

પેલા બન્ને થાકી ગયા. બોલ્યા, ‘મા, અમે તમારાથી હારી ગયા.’

વૃદ્ધા બોલી, ‘હારનારા પણ બે જ છે. એક કરજદાર અને બીજો વહુનો બાપ.’

હવે બન્ને જણ ખૂબ જ કંટાળ્યા અને ગુસ્સે થયા.

અનુભવી વૃદ્ધાએ કહ્યું કે હું કહું છું આપ કોણ છો? આપ રાજાભોજ અને રાજકવિ માઘ છો. આપ સામેના રસ્તાથી ઉજ્જૈન થઈ 

શકો છો.’ 

રાજા અને કવિએ અનુભવી વૃદ્ધાના જ્ઞાન અને જવાબોથી પ્રભાવિત થઈને તેમને વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment