Thursday 19 April 2012


આજ નુ " કાવ્ય "

પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું,
અમારી હારથી તમને હરાવીને હસી લઈશું.

ખુશી જો કોઈ સાંપડશે અમારા શુષ્ક જીવનમાં,
તો આંખોમાં અમે અશ્રુઓ લાવીને હસી લઈશું.

વિધાતાએ લખેલા દુઃખ અમે કઈ એમ સહેવાના,
કે એ દુઃખથી વિધાતાને રડાવીને હસી લઈશું.

દિલાસો કે દવા નહિ તો ભલે, પણ દ્રષ્ટી તો કરજો,
તમારા દર્દ ખુદ તમને બતાવીને હસી લઈશું.

અહીં જાહેરમાં હસવું દીવાનાનો તમાશો છે,
જો હસવું આવશે તો મુખ છુપાવીને હસી લઈશું.

શમાની જેમ સળગી રાતભર રડવું નથી ગમતું,
અમે એથી બધા દીપક બુઝાવીને હસી લઈશું.

ન રડ,ઓ દિલ ભલેને પ્રેમમાં મંઝીલ નથી મળતી,
અમે ખુદ પ્રેમને મંઝીલ બનાવીને હસી લઈશું.

પગે અથડાઈને અમને ના પછાડે એટલા માટે,
અમે સૌ પાપને મસ્તક પર ઊઠાવીને હસી લઈશું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment