Wednesday, 5 September 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

" Diffrent type of swastik "

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં-બાપ"

જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો ,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?

સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો ,
પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .?

વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો ,
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?

ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો ,
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?

સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો ,
પછી બેસણા માં ફોટા સામે બેસવા – બેસાડવા નો શું અર્થ ?

લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો ,
પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ ?

હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો ,
પછી ગંગાજળ માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?

‘માવતર એ જ મંદિર’ એ સનાતન સમજી રાખજો ,
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું અર્થ

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન" ....."અધિકમાસ તથા પુરુષોત્તમ માસ"

હિન્દૂધર્મ પંચાંગમાં લગભગ દર ત્રણ વર્ષે એક વર્ષ વધી જાય છે, જે અધિકમાસ તથા પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ માસ ધર્મ-કર્મ, સ્નાન, દાન, ભક્તિ તથા સેવા માટે વધારે 
જ પુણ્યદાયી માનવામાં આવે છે. 
ધર્મની સાથે જોડાયેલી તે ખાસ વૈજ્ઞાનિક બાબતો જેને કારણે હિન્દૂ વર્ષમાં એક માસ એટલે કે અધિકમાસ દર 3 વર્ષમાં વધી જાય છે... 
જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્ય સંપૂર્ણ વર્ષમાં 12 રાશિઓ માંથી પસાર છે. સૂર્યના આ રાશિઓમાં ભ્રમણ લગભગ 365 , 8 કલાક, 48 મિનિટ અને 24 સેકન્ડ માં પૂરું થાય છે. સૂર્યના એક રાશિમાં સમય પસાર કરી, બીજી રાશિમાં પ્રવેશ કરવા સુધીનો કાળ સૌરમાસ કહેવામાં આવે છે. આ માટે સૂર્યની આ ગતિના અધાર પર કરવામાં આવેલી વર્ષગણના સૌરવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી નિયત વર્ષ પણ પૃથ્વી દ્વારા કરવામાં આવેલી સૂર્યની 365 દિવસની પરિક્રમા પર આધારિત છે. આ રીતે પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રમા સૂર્યની સાપેક્ષ ગતિ બનાવવા માટે પરિક્રમામાં લગભગ 27થી 29 દિવસનો સમય લે છે.
ચંદ્રમાની ગતિના આ સમયગાળાને ચંદ્રમાસ કહેવામાં આવે છે. આ અવધિના આધારે જો ચંદ્રમાસની ગણના કરો તો એક ચંદ્રવર્ષ 354 દિવસોનું થાય છે, જો કે સૌર વર્ષ 365 દિવસોનું થાય છે. આ રીતે ચંદ્ર વર્ષમાં ૧૦ દિવસ, ૨૧ કલાક, ૨૦ મિનિટ અને ૪૫ સેકન્ડનો દિવસ ઓછા થાય છે. અહીં અંતર લગભગ 32 માસમાં વધીને એક ચંદ્રમાસ એટલે કે 27થી 29 દિવસનું થાય છે.
સનાતન ધર્મમાં પ્રાચીન ઋષી-મુનિઓ, ગ્રહ-નક્ષત્રો અને જ્યોતિષ વિદ્યાના જાણકારોએ કાલગણના ત્રુટિરહિત કરવાની દ્રષ્ટિથી જ ચંદ્રવર્ષ અને સૌરવર્ષની આ રીતે ગણતરી કરી છે. ચંદ્ર અને સૂર્યની આ અવધિના અંતરને દૂર કરવા માટે 32 માસ 26 દિવસ અને ચારઘડીના સમયગાળાથી એટલે કે દરેક ત્રીજા ચંદ્રવર્ષમાં એક વધારાનો ચંદ્રમાસ જોડીને 11 દિવસોના અંતરને પૂરું કરવાનું નિયત કરવામાં આવ્યું છે. આ માસ જ અધિકમાસ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં પણ ચંદ્રમાસ અને સૌરમાસના અંતરને અધિકમાસ જ કહેવામાં આવે છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"..."ભગવાનને દિલથી સાદ"

એક ખ્રિસ્તી યુવાન ઑલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં તેનો ઉછેર થયો હતો. રોજ ચર્ચમાં જઈ તે ઈશ્વરને પ્રાર્થના કરતો અને મનથી
પ્રભુનો આભાર માનતો. 
એક દિવસ રાત્રે તેને કંઈ કામ ન હોવાથી સ્વિમિંગ-પ્રૅક્ટિસ કરવાના ઇરાદે તે ઘરની બાજુમાં આવેલા પબ્લિક સ્વિમિંગ-પૂલમાં પહોંચ્યો. હંમેશાં મોડી રાત સુધી ચાલુ રહેતી સ્વિમિંગ-પૂલની બધી જ લાઇટો બંધ જોઈને તેને નવાઈ લાગી, પણ તે અંધારામાં જ આગળ વધ્યો. સ્વિમિંગ-પૂલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ હતું, પણ તે ત્યાંનો જાણીતો હતો અને પોતાની ધૂનમાં મસ્ત હતો. તે પોતાની મસ્તીમાં કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ ર્બોડ સુધી પહોંચ્યો. ઊંધી ડાઇવ મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બન્ને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટને લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો તેની નજરે પડ્યો. પહોળા કરેલા હાથને કારણે પડછાયાનો આકાર વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈસુ ખ્રિસ્ત જેવો લાગતો હતો. આમ પણ તે અતિશ્રદ્ધાળુ કુટુંબમાંથી આવતો હતો. આવું દૃશ્ય જોતાં જ તેના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. તેનું મન ભગવાનની યાદથી ભરાઈ આવ્યું. ડાઇવ મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને તે પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી પ્રાર્થના કરતાં બોલી ઊઠ્યો, ‘ઓ ગૉડ, પ્લીઝ બ્લેસ મી (અર્થાત હે ભગવાન, મારા પર કૃપા કરો).
જોરથી બોલાયેલા તેના શબ્દો સાંભળી પૂલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ-પૂલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળામાં પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ-પૂલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો તેણે એમાં ઊંધો કૂદકો મારી દીધો હોત તો? આ વિચારોથી જ તે ધ્રુજી ઊઠ્યો, કારણ કે પાણી વિનાના સ્વિમિંગ-પૂલમાં પટકાવાથી તેના રામ જ રમી ગયા હોત. ખરેખર ભગવાને તેની પ્રાર્થના સાંભળી હતી. ચોકીદાર લાઇટ ચાલુ કરે એ માટે ઈશ્વરે જ યુવાનને મોટેથી પ્રાર્થના કરવાની પ્રેરણા આપી હતી. તે યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.

ખરેખર, ભગવાનને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું જ નથી. બસ, જરૂર છે ભગવાનને દિલથી સાદ પાડવાની.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"...."પ્રભુ પધાર્યા આંગણે"

મંદિરમાં ખૂબ જ ભીડ હતી. ભક્તોની લાઇન લાગી હતી. ભગવાનની મૂર્તિની વિધ-વિધ રીતે પૂજા થતી હતી.
ભજન-ર્કીતન ચાલુ હતાં. આ બધી ભક્તિની ધમાલ વચ્ચે ગેબી ગડગડાટ થયો અને આકાશમાંથી આકાશવાણી થઈ કે ‘આ પૃથ્વીન
ા પાલનહાર તમારી ભક્તિથી એટલા બધા ખુશ છે કે તમારી વચ્ચે રહેવા આવવા માગે છે. આજથી ત્રણ દિવસ પછી પ્રભુ તમારામાંથી કોઈ એકના હૃદયમાં નિવાસ કરશે. આકાશવાણી પૂરી થઈ. બે ક્ષણો માટે બધા હતપ્રભ થઈ ગયા. પછી આપણી ભક્તિથી પ્રભુ ખુશ છે એથી આનંદથી નાચવા લાગ્યા.
દરેક ભક્તના મનમાં થયું, પ્રભુ મારા હૃદયમાં નિવાસ કરે તો સારું! પ્રભુને પામવા પોતાની ભક્તિ વધુ પવિત્ર, સાચી અને બીજાની ભક્તિ ઓછી પવિત્ર અને ખોટી છે એમ વિચારવા લાગ્યા.
આ બાજુ સ્વર્ગમાં પ્રભુ પણ કોના હૃદયમાં નિવાસ કરવો એ બાબત વિચારી રહ્યા હતા.
મંદિરના પૂજારીએ વિચાર્યું, ‘ભલેને બધા ભક્તો ભક્તિ કરે, પણ હું તો ૨૪ કલાક પ્રભુના સાંનિધ્યમાં રહું છું, તેમની સેવા-પૂજા કરું છું એટલે પ્રભુ મારા જ હૃદયમાં બિરાજશે. સ્વર્ગમાં ભગવાને દેવર્ષિ નારદને કહ્યું, ‘પૂજારીનું કામ ભક્ત અને ભગવાનને જોડવાનું છે. સેવા-પૂજામાં પૂજારી મને હાથો બનાવી પૈસા પડાવે છે તેના હૃદયમાં નહીં.’
ખૂબ મોટું દાન આપી મંદિરના ટ્રસ્ટી બનનાર ટ્રસ્ટીશ્રીએ વિચાર્યું, ‘બીજા બધા ગમે એટલી ભક્તિ કરે, ભગવાનનું સ્થાનકસમું મંદિર તો મારા દાનના જોરે ચાલે છે એથી પ્રભુ મારા હૃદયમાં જ પધારશે.’
સ્વર્ગમાં ભગવાને દેવર્ષિ નારદને કહ્યું, ‘પોતાને દાનેશ્વરી ગણતા શેઠનું મન મેલું છે. અનીતિની કમાણીમાંથી દાન આપી માન મેળવે છે. તેના મનમાં તો નહીં જ.’
મંદિરમાં બધાને કથાશ્રવણ કરાવતા જ્ઞાની સંતને થયું, મારા મુખમાં સદા પ્રભુનામ રમે છે. પ્રભુ મારા હૈયામાં જ પધારશે. પ્રભુએ સ્વર્ગમાં દેવર્ષિ નારદને કહ્યું, ‘જ્ઞાની સંત છે, પણ મગજમાં જ્ઞાનના ભંડાર ભરેલા છે અને હૈયામાં મારા સમાન જ્ઞાની કોઈ નથી એવું અભિમાન એટલે મારા રહેવાની જગ્યા જ ક્યાં છે.’
હજી પણ આકાશવાણી સાંભળી પ્રભુનો અવાજ સાંભળ્યાંના આનંદમાં ઝૂમી રહેલા મસ્તરામ પાગલ ગણાતા ફકીર બસ પ્રભુનામમાં મસ્ત હતો. તેને જોઈ સ્વર્ગમાં પ્રભુએ દેવર્ષિને કહ્યું, ‘ચાલો, પૃથ્વી પર જવાની તૈયારી કરો. મેં નવું સરનામું નક્કી કરી લીધું છે.’
દેવર્ષિ, બોલ્યા ‘ક્યાં પ્રભુ?’ પ્રભુએ કહ્યું, ‘જ્યાં કોઈ કાવાદાવા નથી એવા હૃદયમાં. પેલા પાગલ ગણાતા મસ્તરામના હૃદયમાં.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"...."ખરું દાન"

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની મા મીનળદેવી એક વાર સોમનાથની જાત્રાએ ગયેલાં. ત્યાં તેમણે છૂટે હાથે દાન કર્યું.
દાન કરતાં તેમના મનમાં એક વિચાર આવ્યો, ‘આહા! મારા જેવું દાન આખા મલકમાં કોણ કરે છે? જ્યાં લાખના કો
ઈ લેખાં જ નહીં, કરોડોની જ્યાં વાત બોલાય!’
ગર્વગંજનહાર પ્રભુ ગર્વને કેમ સાંખે? પ્રભુને થયું, મહારાણીને વધુ ગર્વ થયો છે. કંઈ કરવું પડશે.
છૂટે હાથે દાન કરતાં-કરતાં મહારાણી થાકી ગયાં. બપોરે જમી-પરવારી ઘડીક આરામ લેવા તે આડે પડખે થયાં. ઊંઘમાં પણ તેમને પોતાના દાનના જ વિચારો આવ્યા.
સ્વપ્નમાં તેમણે ભગવાન શંકરને દીઠા. મીનળદેવીએ હરખમાં ને હરખમાં પૂછ્યું, ‘દેવ, મારા દાનથી સંતુષ્ટ છોને?’
ભગવાન શંકરે જવાબમાં માથું ધુણાવ્યું.
મીનળદેવીએ પૂછ્યું, ‘ભગવાન, કેમ ના પાડો છો? મારા કરોડોના દાનમાં શું કમી રહી ગઈ?’
ભગવાન શંકર બોલ્યા, ‘મીનળ, તારા દાનને ટપી જાય એવું એક દાન અમારા ચોપડે નોંધાયું છે.’
મીનળદેવી જરાક ગર્વથી બોલ્યાં, ‘દેવ, એવો તે કેવો દાનેશ્વરી પાક્યો છે જેનું દાન મારા કરતાં ચડિયાતું ગણાય?’
ભગવાન શંકર બોલ્યા, ‘મીનળ! અહીંના અને તમારા હિસાબ કંઈક જુદા હોય છે. તમે જે ગજથી માપો છો એ ગજ અમારે ત્યાં કામ નથી આવતો. જો ખરાં દાનેશ્વરીનાં દર્શન કરવાં હોય તો મંદિરના ઓટલે એક ચીંથરેહાલ ડોશી બેઠી છે તેને જઈને પૂછજે કે ‘ડોશી, તેં કેટલું દાન કર્યું છે?’
આટલું કહી ભગવાન શંકર અદૃશ્ય થઈ ગયા.
મીનળદેવી તરત એ ડોશી પાસે ગયાં ને પૂછ્યું, ‘માજી, તમે તો ભગવાન સોમનાથને ચરણે જીવનની રળી કમાણી ન્યોછાવર કરી હશે કાં?’
ડોશી બોલી, ‘મહારાણીબા! દાન કરવાનું મારું શું ગજું? હું તો ગરીબ છું. સો- સો જોજનથી ભગવાન સોમનાથનાં દર્શન કરવા ચાલતી આવી છું. ગઈ કાલે તો અગિયારસનો ઉપવાસ હતો એટલે કંઈ ખાધું નહોતું. આજે સવારે એક સજ્જને લોટ આપ્યો હતો એમાંથી અડધાનું દાન કર્યું અને અડધાના રોટલા બનાવ્યા. એમાંથી અડધો રોટલો કૂતરાને આપ્યો. અમ ગરીબ તો બસ આવાં નાનાં દાન કરી શકે!’
મીનળદેવી સમજી ગયાં કે ખરેખરું દાન કોને કહેવાય.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી