Saturday 8 November 2014


જીવન માં વિચારવા જેવું .....

સ્વપ્ન ત્યાં સુધી સપના જ રહેશે.
જ્યા સુધી તમે મહેનત કરી આકાર નહી આપો.
એટલુ યાદ રાખવું કે..... 
આપણે પાણી ને હાથ માં નથી પકડી સકતા
પરતું બરફ અવશ્ય હાથ માં ટકી શકે છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." તક ઝડપી લો "

એક યુવાનની ઇચ્છા હતી કે રાજ્યના પ્રધાનની અતિ સુંદર દીકરી સાથે તેનાં લગ્ન થાય. એક દિવસ તે હિંમતથી પોતાની ઇચ્છા જણાવવા પ્રધાન પાસે ગયો.

પ્રધાને તેને નજરથી માપીને કહ્યું, ‘દીકરા, મારી એક શરત છે. જે મારી પરીક્ષામાં પાસ થશે તેને જ હું મારી પુત્રી પરણાવીશ. તું સામેના મેદાનમાં જઈને ઊભો રહે. હું ત્રણ આખલા છૂટા મૂકીશ. એક પછી એક એ ત્રણે મેદાનમાં દાખલ થશે અને ત્યારે એમાંના એકની પણ પૂંછડી તું પકડી શકીશ તો મારી દીકરી તને પરણાવીશ.’

યુવાન તો મેદાનમાં જઈને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં એક હૃષ્ટપુષ્ટ અને જંગલી આખલો મેદાનમાં પ્રવેશ્યો. યુવાને આવો આખલો અગાઉ કદી જોયો નહોતો. તેણે મનોમન નક્કી કર્યું કે આના કરતાં હવે પછી જે આખલો આવે એની પૂંછડી પકડવી બહેતર રહેશે. આથી તે બાજુ પર ખસી ગયો અને પેલા જંગલી આખલાને પસાર થઈ જવા દીધો.

થોડી વાર બાદ બીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. આ આખલો તો વળી પહેલાં આખલા કરતાં પણ વધારે મહાકાય અને ઝનૂની હતો. છીંકોટા નાખતો એને ધસી આવતો જોઈને યુવાને વિચાર્યું કે હવે પછી ત્રીજો આખલો જેવો પણ હોય એવો, આ ઝનૂની આખલા કરતાં તો સારો જ હશે એટલે બીજા આખલાની સામેથી પણ તે ખસી ગયો.

થોડી વાર બાદ ત્રીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. ત્રીજા આખલાને જોતાં જ યુવાન ખુશીથી ઝૂમી ઊઠ્યો. આ આખલો તો સાવ નબળો હતો. આવો કૃશકાય આખલો તો તેણે કદી દીઠો નહોતો. એ આખલાને પોતાના તરફ આવતો જોઈને તેણે દોડવાનો આરંભ કર્યો. બરાબર યોગ્ય ક્ષણે યુવાને છલાંગ લગાવીને આખલાની પૂંછડી પકડવાની કોશિશ કરી. અરે, આ શું? પેલા આખલાને પૂછડી જ નહોતી! યુવાનના હાથમાં પૂછડી ન આવી અને પ્રધાનપુત્રીને પરણવાનાં સપનાં પૂરાં થયાં નહીં.

જિંદગીમાં પણ તકો મળતી રહે છે. તકથી ભરપૂર જિંદગીમાં અમુક તક મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ પછી આગળ વધારે સારો અવસર પ્રાપ્ત થશે એવી આશા રાખી પાસે આવેલી તકને ગુમાવી દઈએ તો એવી તક ફરી કદાચ ક્યારેય ન સાંપડે. આથી જીવનમાં મળેલો દરેક અવસર કે તક સરળ હોય કે મુશ્કેલ, વધુ વિચાર કરીને વાર લગાડવા કરતાં અને વધુ સારી તકની લાલચ કર્યા વિના તરત ઝડપી લેવી જોઈએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." ધન ભેગું કરવું છે ? "

કાબાના એક સંત પોતાનો આશ્રમ બનાવવા ધન ભેગું કરવા નીકળ્યા. સમાજના અમીર-ઉમરાવ, બાદશાહ, સુલતાન વગેરે પાસે પોતાની ઝોળી લાંબી કરી અને બધાએ તેમની ઝોળી સોનામહોરોથી ભરી દીધી. 

આશ્રમ માટે વધુ ને વધુ ધન એકઠું કરવા તેઓ ફરતા હતા ત્યારે ફરતાં-ફરતાં સંત રાબિયા જ્યાં રહેતાં હતાં એ પ્રદેશમાંથી પસાર થયા. 

કાબાના સંતે વિચાર્યું, ‘સંત રાબિયાની ખ્યાતિ-શાખ ઉચ્ચતમ છે. લાવ, તેમનાં દર્શન કરું અને તેમને મારી સાથે આશ્રમ માટે ધન ભેગું કરવા આવવાની વિનંતી કરું. તેઓ સાથે હશે તો વધુ ને વધુ દાન મળશે.’

આવું વિચારીને તેઓ સંત રાબિયાને ત્યાં ગયા. રાબિયાએ સ્નેહભાવથી સંતનું સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. પોતાના હાથે ભોજન બનાવીને રાબિયાએ સંતને જમાડ્યા અને પછી પોતે ભોજન કર્યું. તેમણે થોડી વાર સ્ાત્સંગ કર્યો અને નમાજ પઢવા ચટાઈ આપી. રાત્રે સૂવા માટે પાટ પર શેતરંજી પાથરી આપી અને પોતે જમીન પર કંતાન પાથરીને સૂઈ ગઈ.

સંતને શેતરંજી પર ઊંઘ આવતી નહોતી, કારણ કે તેઓ જાડા ગાદલા પર સૂવા ટેવાઈ ગયા હતા. વળી પાછી મેળવેલા ધનને સાચવવાની ચિંતા અને વધુ ધન મેળવવાની ચાહના હતી. રાબિયાને તો સૂતાંની સાથે જ ગાઢ ઊંઘ આવી ગઈ. પેલા સંત તો આખી રાત પડખાં ફેરવતા રહ્યા.

રાબિયાને શાંતિથી સૂતેલી જોઈને સંત વિચારતા હતા કે રાબિયાને કઠણ જમીન પર કેવી રીતે ઊંઘ આવી ગઈ. એ વિશે તેમણે સવારે રાબિયાને પૂછ્યું.

રાબિયાએ કહ્યું, ‘હે મહાત્મા, મારી નાનકડી ઝૂંપડી મને મહેલ જેવી લાગે છે. મારી ઝૂંપડીમાં એક સમયનું ભોજન હોય તો હું મને પરમ ભાગ્યશાળી માનું છું. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે મને ખબર જ નથી પડતી કે મારી નીચે ગાદલું છે કે કંતાન. હું આખા દિવસમાં કરેલાં સત્કર્મોને યાદ કરીને કોઈ જ ચિંતા વિના, અલ્લાહનું સ્મરણ કરીને આરામથી સૂઈ જાઉં છું.’ 

સંત સાનમાં સમજી ગયા.

સંતે જવા માટે વિદાય માગી ત્યારે રાબિયાએ પૂછ્યું, ‘ધન ભેગું કરવા માટે શું હું પણ આપની સાથે આવું?’ 

સંતે જવાબ આપ્યો, ‘દુનિયાનું પરમ સુખ શેમાં છે એ તમે મને બતાવી દીધું છે. હવે મારે કોઈ આશ્રમની જરૂર નથી.’ 

કાબા પાછા ફરીને તેમણે ભેગું કરેલું ધન ગરીબોને વહેંચી દીધું અને પોતે ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જગત માં અંજવાળુ કરે તેનું નામ સૂર્ય
અને .....
અતંરઆત્મા માં અંજવાળુ કરે તેનું નામ ધર્મ .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." સૌથી મહાન કોણ ? "

એક વાર દેવર્ષિ નારદના મનમાં એવું જાણવાની ઇચ્છા થઈ કે આ સૃષ્ટિમાં સૌથી મોટું કોણ? સૌથી મહાન કોણ?

પોતાના મનના આ પ્રશ્નનો જવાબ શોધવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. અંતે પોતાની જિજ્ઞાસા લઈને તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે ગયા.

વૈકુંઠ પહોંચી નારદજીએ ભગવાન વિષ્ણુને મનની વાત જણાવતાં પૂછ્યું, ‘પ્રભુ, આપ જ મારા મનના પ્રશ્નનું સમાધાન કરો કે સૌથી મહાન કોણ?’

વિષ્ણુ ભગવાને કહ્યું, ‘હે નારદ, સૌથી મોટી તો પૃથ્વી દેખાય છે, પરંતુ એ સત્ય પણ છે કે પૃથ્વી સમુદ્રથી ઘેરાયેલી છે. એથી પૃથ્વી સૌથી મોટી નથી.’

નારદજીએ કહ્યું, ‘તો પ્રભુ, સમુદ્ર સૌથી મોટો?’

વિષ્ણુજીએ કહ્યું, ‘સમુદ્ર મોટો, પણ સૌથી મોટો નહીં; કારણ કે સમુદ્રને અગસ્ત્ય મુનિ પી ગયા હતા. એથી અગસ્ત્ય ઋષિ વધુ મોટા કહેવાય. પરંતુ હાલમાં તો તેઓ અનંત આકાશના એક નાનકડા ભાગમાં એક આગિયાસમ તારારૂપે પ્રકાશી રહ્યા છે. એથી તેઓ મોટા નથી.’

નારદજી બોલ્યા, ‘પ્રભુ, તો અનંત આકાશ સૌથી મોટું ગણાય, ખરુંને?’

વિષ્ણુજી મલકીને જવાબ આપ્યો, ‘ના, આકાશને તો મેં વામન અવતારમાં એક ડગલામાં માપી લીધું હતું. એથી વામન સામે તો આકાશ નગણ્ય છે.’

નારદજીએ જરા કટાક્ષમાં કહ્યું, ‘તો પ્રભુ, આપ આપબડાઈ હાંકી એમ જણાવવા માગો છો કે સૌથી મોટા અને મહાન તમે જ છો?’

ભગવાન વિષ્ણુએ સ્મિત કરી નારદજીની સમીપ જઈને કહ્યું, ‘ના, નારદજી. હું પણ મોટો કે મહાન નથી, કારણ કે હું તો તમારા મુઠ્ઠી જેવડા હૃદયમાં એક નાનકડી અંગૂઠા જેટલી જગ્યામાં હું રહું છું, તેથી તમે જ સૌથી મોટા કહેવાઓ. વાસ્તવમાં ભક્તના હૃદયમાં જ હું રહું છું. તેથી સાચો ભક્ત જ જગતમાં સૌથી મહાન છે. એથી નારદજી, આપ સૌથી મોટા અને મહાન છો.’

નારદજીએ પ્રભુનાં ચરણોમાં વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." ભગવાન મળે તો બધું મળે "

સાવરકુંડલાની પાસે એક ગામડામાં મંગા નામના હરિજનને ભક્તિ કરતાં-કરતાં ભગવાન મળ્યા. આ વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. 

ભાવનગરના મહારાજાના કાને પણ આ વાત પહોંચી. મહારાજે દીવાનજીને પૂછ્યુ, ‘આ મંગા નામના હરિજનને ભગવાન મળ્યા એ વાત સાચી?’ 

મંત્રીએ કહ્યું, ‘હા મહારાજ. સાંભળ્યું તો મેં પણ છે.’ 

મહારાજાએ કહ્યું, ‘ચાલો, જઈને તપાસ કરીએ. કંઈ ધતિંગ તો નથીને!’

રાજાનો રસાલો તૈયાર થયો. ભાવનગરના મહારાજા મંગાના ગામડે આવ્યા. ગામની બહાર નાનો કૂબો. એ કૂબામાં મંગો હરિજન રહે. ભગવાનનો એવો પરમ ભક્ત! સાવ નર્મિળ માણસ, નીતર્યું પાણી. પોતાની ભક્તિની મસ્તીમાં રત.

રસાલા સાથે મહારાજા શોધતાં-શોધતાં આવ્યા તો ગામમાં બધાને ખબર પડી ગઈ કે ભાવનગરના મહારાજા આવ્યા છે. ગામ આખું ભેગું થઈ ગયું. મહારાજાએ પૂછ્યુ, ‘મંગો ક્યાં છે?’ 

એક જણે કહ્યું, ‘આ રહ્યો, આ ઝૂંપડું તેનું.’

મહારાજા ઝૂંપડા તરફ ગયા.

કોઈકે દોડીને મંગાને કહ્યું, ‘મંગા, તને ભાવનગરના મહારાજા મળવા આવ્યા છે.’ 

મંગો ઝૂંપડામાંથી બહાર આવ્યો. ‘બાપુ, તમે? તમે મારે ઝૂંપડે?’ 

એકદમ પગમાં જ પડી ગયો.

મહારાજાએ પૂછ્યુ, ‘તું જ મંગો?’ 

‘હા બાપુ.’ 

‘સાંભળ્યું છે તને ભગવાન મળ્યા છે!’ 

મંગાએ નિખાલસતાથી કહ્યું, ‘હા બાપુ, મને ભગવાન મળ્યા છે.’

મહારાજા થોડી કરડાકીથી બોલ્યા, ‘પણે એની સાબિતી શું? તું કહે એટલે હું થોડું માની લઉં?’

મંગાએ નમ્રતાથી મુખ પર સ્મિત સાથે કહ્યું, ‘બાપુ! તમે મારે કૂબે આવીને ઊભા રહ્યા એ જ સાબિતી. નહીં તો તમે ભાવનગરના મહારાજા. તમને મળવા અમે ભાવનગર આવીએ તો પણ કોઈ મળવા ન દે, કોઈ ઘૂસવા ન દે. એને બદલે ભાવનગરનો ધણી સ્વયં મારે ઝૂંપડે આવીને ઊભો રહે એ જ મોટી સાબિતી!’

ભાવનગરના ધણીએ ભક્ત મંગાને વંદન કર્યા અને બોલ્યા, ‘ભગવાન મળે તેને બધું જ મળે, તેને બધા જ મળે.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

માનવી ના જીવન માં 
"આળસ અમાસ" નું કામ કરે છે.
અને ....
"પુરૂસાર્થ પુનમ" નું કામ કરે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

લોહી માં વધુ "sugar" ની ચિંતા કર્યા વગર 
જીભ માં "તિખાશ" ની
અને
દિલ માં "ખારાશ" ની વધુ ચિંતા કરવી

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." રાત્રિ નો સંદેશ "

રાત્રિ અને દિવસની વચ્ચે એક સંવાદ થયો. રાત્રિ પૂરી થવાની અને દિવસ ઊગવાની ક્ષણો હતી ત્યારે રાત્રિ અને દિવસ બન્ને સામસામે થઈ ગયાં.

રાત્રિએ દિવસને પૂછ્યું, ‘જગત પર વસતા કેટલાક માનવીઓને આળસુ, નાહિંમત, નિરાશ અને દુ:ખી બનાવવામાં ભલા તને શો આનંદ આવે છે?’

રાત્રિની આવી વાત સાંભળી દિવસને ખૂબ જ નવાઈ લાગી અને આશ્ચર્ય થયું. વિસ્ફારિત નેત્રે એણે રાત્રિને પૂછ્યું, ‘શું કહ્યું બહેન તેં? શું હું તેમને આળસુ, નાહિંમત નિરાશ કે દુ:ખી બનાવું છું? ગાંડી રે ગાંડી! હું તો તેમને પ્રકાશ આપું છું અને પ્રકાશ એ પ્રગતિનું જ નિશાન છેને? પ્રકાશ આપીને હું તેમને પ્રવૃત્તિશીલ રાખવાનો પ્રયત્ન કરું છું પણ... ’ કહીને દિવસ ઘડીભર અટક્યો.

દિવસના મનમાં એક વિચાર આવ્યો હતો એને પ્રગટ કરતાં એનો જીવ ચાલતો નહોતો. છતાં હિંમત કરીને એણે રાત્રિને કહ્યું, ‘બહેન, એક વાત કહું તો ખોટું તો નહીં લાગેને?’

રાત્રિએ હસીને કહ્યું, ‘ના રે ના! ખોટું શું કામ લાગે? મારા મનની વાત મેં તને કહી એમ તું પણ તારા મનની વાત કહી દે.’

દિવસે કહ્યું, ‘માનવોને આળસુ, નાહિંમત, નિરાશ, દુ:ખી હું નહીં પણ તું... તું જ બનાવે છે.’

આ વાત સાંભળી રાત્રિ ભારે અચંબામાં પડી ગઈ. એણે પૂછ્યું, ‘કઈ રીતે?’

દિવસે કહ્યું, ‘તું એમને અંધકારમાં ઘેરે છે, અંધકાર પતનનું નિશાન છે. બોલ, તેમને દુ:ખી કરનાર હું કે તું?’

રાત્રિએ હસીને કહ્યું, ‘ભાઈ, તારી વાત સાથે હું સંમત નથી; કારણ કે માનવીને માત્ર પ્રકાશ આપી તું કેવળ સુખનો જ અનુભવ કરાવે છે. એટલે સુખના સાથી દુ:ખનો અનુભવ તેઓ કરી શકતા નથી. વિપત્તિનો સામનો કરવા નાહિંમત બને છે, નિરાશ બને છે. હું જગત પર અંધકાર પાથરી જીવનના બીજા પાસાનો અનુભવ કરાવું છું. રૂમઝૂમ કરતી તારલિયાની ચૂંદડી ઓઢી માનવને સંદેશ આપું છું કે હું માનવ! તું પ્રકાશ માણે છે, સર્વત્ર સુખ- સગવડ શોધે છે, આશાના મિનારા ચણે છે; પણ સૌથી પહેલાં અંધકારને ઓળખી લે તો પ્રકાશની કિંમત સમજાશે તને!’

દુ:ખ સિવાય સુખની કિંમત કેમ સમજાય? 

દિવસ રાત્રિનો સંદેશ સાંભળી રહ્યો .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

છે ફરક એટલો જ "પ્રભુ" તુજ મા અને મુજ મા
તુ "તન" થી "પથ્થર" 
અને
હું "મન" થી "પથ્થર" 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
પરમાત્મા નું સ્વરૂપ...." માં "

જ્યારે કોઇ મને પુછે કે દુનિયા માં "પ્રેમ" હવે ક્યા રહ્યો છે
હસી દવ છું અને મને યાદ આવી જાય છે....
મારી ....."માં" 
માં નો પ્રેમ એટલે "અજોડ" અને "અમર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જ્યારે તમે કોઇ ને "માફ" કરો છો ત્યારે તમે 
તેનો "ભૂતકાળ" નહી તમે તેનું "ભવિષ્ય" બદલો છો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

જીવન માં વધારે "ભાર" લઇ ને ચાલનારા હમેંશા "ડુબી" જાય છે. 
ભલે પછી તે ભાર "અભિમાન" નો હોય કે પછી "સામાન" નો ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

એક ઓપરેશન પછી દર્દી બોલ્યો ડોકટર સાહેબ ....
હવે તો હું તમારા થી મુક્ત છું ને ,
બેટા ડોકટર સાહેબ તો નીચે રહી ગયા ,
હું તો "યમરાજ" છું

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." બે કોણ ? "

એક રાજા અને એક કવિ સાંજે સાથે લટાર મારવા નીકળ્યા હતા. વળતાં મોડું થયું અને અંધારું થઈ જતાં રસ્તો ભૂલી ગયા. અણસારના આધારે રસ્તો કાપતા હતા. સામે બે રસ્તા આવ્યા. હવે કયો રસ્તો લેવો એ બાબતે બન્ને મૂંઝાયા.

જીકમાં એક ઝૂંપડી હતી. આંગણામાં માજી બેઠાં હતાં. રાજા અને કવિ તેમની પાસે ગયા અને પૂછ્યું, ‘માજી, આ રસ્તો ક્યાં જાય છે?’

વૃદ્ધાએ બેઉની સામે ટગર-ટગર જોયું અને પછી કહ્યું, ‘આ રસ્તો તો અહીં જ રહે છે. ક્યાંય જતો નથી. હા આ રસ્તેથી યાત્રીઓ જાય છે. આપ કોણ?’

રાજાએ કહ્યું, ‘અમે યાત્રીઓ છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘યાત્રીઓ તો બે જ હોય છે. એક સૂરજ અને બીજો ચંદ્ર. આપ એ બેમાંથી કોણ છો?’

રાજાએ કહ્યું, ‘અમે મહેમાન છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘ખોટી વાત. અતિથિ તો બે જ હોય છે. એક ધન અને એક યોદ્ધા, પરંતુ આપ કોણ?

રાજાએ કહ્યું, ‘અમે રાજા છીએ.’

વૃદ્ધા બોલી, ‘રાજા પણ બે જ, એક યમ બીજો ઇન્દ્ર આપ કોણ છો?

વળતો જવાબ આપતાં રાજાએ કહ્યું, ‘અમે કામાવંત છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘કામાવંત તો બે જ છે. પૃથ્વી અને નારી, તમે એ બેમાંથી કોઈ નથી!

રાજાએ કહ્યું, ‘અમે પરદેશી છીએ.’

વૃદ્ધ માજીએ કહ્યું, ‘પરદેશી બે જ હોય, જીવ અને ઝાડનાં પાન.’

રાજાએ કંટાળીને કહ્યું, ‘અમે ગરીબ છીએ.’

વૃદ્ધાએ કહ્યું, ‘ગરીબ બે જ, બકરી અને દીકરી.’

પેલા બન્ને થાકી ગયા. બોલ્યા, ‘મા, અમે તમારાથી હારી ગયા.’

વૃદ્ધા બોલી, ‘હારનારા પણ બે જ છે. એક કરજદાર અને બીજો વહુનો બાપ.’

હવે બન્ને જણ ખૂબ જ કંટાળ્યા અને ગુસ્સે થયા.

અનુભવી વૃદ્ધાએ કહ્યું કે હું કહું છું આપ કોણ છો? આપ રાજાભોજ અને રાજકવિ માઘ છો. આપ સામેના રસ્તાથી ઉજ્જૈન થઈ 

શકો છો.’ 

રાજા અને કવિએ અનુભવી વૃદ્ધાના જ્ઞાન અને જવાબોથી પ્રભાવિત થઈને તેમને વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

સુખી થવાની લાલચ માં પુરી જીંદગી દુઃખ માં કાઢે તેનુ નામ "માણસ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

વર્ષ ના "બે" જ દિવસ એવા છે 
જ્યા આપણે કાંઇ જ નથી કરી શકવાના
એક છે "ગઇ કાલ" અને બીજી "આવતી કાલ"
"આજ" હમેંશા આપણા હાથ માં છે
પ્રેમ માટે વિશ્ર્વાસ માટે જીવવા માટે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જીવન નાના બાળક જેવું બનાવી રાખજો
"નિખાલસ" અને "નિષ્પાપ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પરમાત્મા નું સ્વરૂપ...." માતા પિતા"

જગત નો કોઇ પણ પિતા આ બે વસ્તુ નો "ભાર" નથી ઉપાડી શકતો
એક દીકરી ની "ડોલી" અને બીજી દિકરા ની "અર્થી"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." માં "

પિતા ના મૃત્યુ પછી પુત્ર વિચારે છે કે તેની ઘરડી માં ને હવે વૃઘ્ધાશ્રમ માં મુકી આવી જોઈએ.જ્યારે પુત્ર તેનો આ નિર્ણય તેની માં ને જણાવે છે ,ત્યારે તેની માં ને ખુબ જ મોટો આઘાત લાગે છે.તેની આંખ માંથી અાંસુ વહી જાય છે.

એક નો એક દિકરો આવુ વિચારશે એ તેમને વિશ્વાસ નથી આવતો.કાળજુ કઠણ કરી ,પોતાની બાકી ની જીદંગી ની ચિંતા ના કરતા પોતાના એક ના એક દિકરા ના ભવિષ્ય નો વિચાર અને ખુશી માટે તેની આ વૃઘ્ધ માં હા પાડી દે છે. અને અંતે તેનો દિકરો તેમને વૃઘ્ધાશ્રમ મુકી આવે છે.

ઘણો સમય વીતી જાય છે. એક તરફ પુત્ર તેની ઘરડી માં ને ભૂલી જાય છે. અને બીજી તરફ તેની ઘરડી માં દિકરા ની રાહ માં અને તેની ચિંતા માં જીવન ના અંતિમ દિવસો કાઢે છે.

એક દિવસ અચાનક પુત્ર ના મોબાઈલ માં વૃઘ્ધાશ્રમ થી ફોન આવે છે કે તેમની માતા ની હાલત ખુબ જ ગંભીર છે અને મરણપથારી પર છે.આ સાભંળી પુત્ર વ્રુધ્ધાશ્રમ જાય છે.આટલા વર્ષ પછી પોતાના પુત્ર નું મુખ જોતા તે ખુશ થાય છે અને તેના ગળી ગયેલા શરીર માં નવી તાકાત આવે છે બીજી તરફ ઘરડી માને મરણપથારી પર જોઈ પુત્ર દુઃખી થાય છે.

માને દિલાસા માટે પુત્ર માં ને પુછે છે બોલ માં હુું શું કરુ તમારી માટે ?
વૃઘ્ધ માં કહે છે દિકરા અહીંયા વૃઘ્ધાશ્રમ માં પંખા લગાડી આપ ,એક પણ પંખો નથી ,સારા ખોરાક માટે એક ફ્રિજ લગાડાવી આપ કેમકે ઘણી વખત ખોરાક વાસી કે બગડેલો હોય જેના થી મારે ભુખ્યા સુઇ જવું પડે છે.

પુત્ર ને આશ્ચર્ય થયુ , તે માં ને પુછે છે કે જીવન ના આટલા વર્ષ વૃઘ્ધાશ્રમ માં રહ્યા છતા ફરિયાદ ના કરી અને હવે અંતિમ દિવસ માં આવી ફરિયાદ કેમ ?

વૃઘ્ધ માં કહે છે દિકરા હું ગરમી ,ભુખ અને દુઃખ સહન કરી લઇશ, પરંતુ મને એ વાત ની ચિંતા છે કે જ્યારે તારા પુત્ર તને આવા કોઇ વૃઘ્ધાશ્રમ માં મુકી જશે તો મારા દિકરા તુ આ બધુ સહન નહી કરી શકે.અને આજ ચિંતા માં વૃધ્ધ માં પોતાના પુત્ર ના ખોળા માં જીવન નો અંતિમ શ્ર્વાશ છોડે છે. અને માં નો આવો ઉત્તર સાંભળી અને પ્રેમાળ માં નું નિસ્તેજ શરીર જોઇ ને પુત્ર ની આંખ માંથી પસ્તાવા ના અાંસુ વહેવા લાગે છે...

"માં એટલે બાળક ના પ્રથમ શ્ર્વાસ થી પોતાના અંતિમ શ્ર્વાસ સુધી ની સફર
જ્યા તે પોતાનું સર્વસ્વ પોતાના બાળક માટે સમર્પિત કરી દે છે".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

પૈસાદાર હોવાનો "દેખાવ" કરવામાં જ ......
આજ નો માનવ "ગરીબ" થઇ રહ્યો છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

શિક્ષક : એય ,છોકરા તારું નામ શું છે ?
છોકરો : મારું નામ જીવન છોકરો છે.
શિક્ષક : તારા પિતાજી નું નામ ?
છોકરો : સૂર્યપ્રકાશ ,
શિક્ષક : હવે એ બન્ને નામ અંગ્રેજી માં બોલ જોઇએ ,
છોકરો : માય નેમ ઇઝ "લાઈફબોય" એન્ડ ફાધર નેમ ઇઝ "સનલાઇટ" . 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." પ્રસન્નતા "

એક ખૂબ જ પ્રખ્યાત સૂફી સંત હતા. સંતની શીખ અને સમજાવવાની પદ્ધતિથી જીવન અને આધ્યાત્મના અઘરા સિદ્ધાંત પણ સહેલાઈતાથી સમજાઈ જતાં દૂર-દૂરથી શિષ્યો તેમની પાસે જ્ઞાન મેળવવા આવતા. ભક્તો તેમના સત્સંગમાં હજારોની સંખ્યામાં ભેગા થતા.

એક દિવસ એક માણસ સંત પાસે આવ્યો. તેણે સંતને પ્રણામ કરી વિનંતી કરતાં કહ્યું, ‘બાપજી, મારી એકમાત્ર ઇચ્છા છે કે મને એવું કંઈક શીખવો, એવું કંઈક જ્ઞાન કે મંત્ર આપો, જેથી શું હરહંમેશ પ્રસન્ન રહી શકું.’

આ માણસ જ્યારે સંત પાસે આવ્યો હતો ત્યારે સંત હાથની છાબડીમાંથી દાણા લઈને પક્ષીઓને ખવડાવતા હતા. પક્ષીઓ મોજથી એ દાણા ચણતાં હતાં અને દાણા ચણતાં, પાંખો ફફડાવી ઊડાઊડ કરતાં પક્ષીઓને જોઈને સંતના ચહેરા પર અનન્ય આનંદ હતો. તેમના મનમાં હરખ સમાતો નહોતો.

આમ ઘણો સમય પસાર થઈ ગયો. સંતે પેલા માણસની વાત સાંભળી, પણ કોઈ જવાબ આપવાને બદલે તેઓ પક્ષીઓને ચણ આપવામાં અને જોવામાં મસ્ત હતા. પેલો માણસ મનમાં ને મનમાં અકળાવા લાગ્યો. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ તેને રોકીને સંતે પેલી દાણા ભરેલી છાબડી તેના હાથમાં પકડાવી દીધી અને એટલું જ બોલ્યા, ‘હવે તું પક્ષીઓને ચણ નાખ અને એના આનંદનો અનુભવ મેળવ.’

પેલા માણસને મનમાં થયું કે ‘ક્યાં હું પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સાધના જેવી ઊંચી વસ્તુ શીખવા અહીં આવ્યો છું ને ક્યાં આ સંત મને પક્ષીને ચણ નાખવા જેવું મામૂલી કામ સોંપે છે?’

સૂફી સંતે તેના મનને વાંચી લીધું અને એનો જવાબ આપતા હોય એમ બોલ્યા, ‘ખુદની મુશ્કેલીઓને ભૂલીને દરેક જીવને આનંદ પહોંચાડવાનો પ્રયત્ન જ જીવનની દરેક સિદ્ધિ અને પ્રસન્નતાનું રહસ્ય છે. જો તું સુખ અને પ્રસન્નતા પામવા માગતો હોય તો બીજાને એ જ એટલે કે પ્રસન્નતા જ આપવાનું શીખ. એ જ તારી ખરી સાધના છે. સુખ, પ્રસન્નતા, ખુશી, આનંદ જેટલાં બીજાને આપો, વહેંચતા રહો એટલાં વધતાં રહે છે.’

પેલા માણસને પળભરમાં જીવનભરની ખુશીનું રહસ્ય સમજાઈ ગયું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


આજ નો ચિત્ર "ઉપદેશ".....

"સફળતા" એને કહેવાય......
જ્યારે તમારી "Signature" બીજા માટે "Autograph" બને .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." જીવન એક સાગર "

એક દિવસ એક શિષ્યએ ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, જીવન અગાધ છે. જીવનને સાગર સાથે સરખાવવામાં આવે છે.

જીવન બધાને એકસરખું મળ્યું છે; પણ જીવનનો આનંદ, સફળતા, સંતોષ બધાને જુદાં-જુદાં કેમ પ્રાપ્ત થાય છે?’ 

ગુરુજીએ મંદ-મંદ મલકી શિષ્યને કહ્યું, ‘વત્સ, આ પ્રશ્નનો જવાબ હું તને કાલે સવારે દરિયાકિનારે આપીશ.’ 

શિષ્ય વહેલી સવારે દરિયાકિનારે પહોંચી જાય છે. ગુરુજી સમયાનુસાર આવે છે. વાતાવરણ ખુશનુમા હોય છે. ગુરુ-શિષ્ય લટાર મારતાં-મારતાં સુંદર વાતાવરણનો આનંદ માણી રહ્યા હોય છે.

ગુરુજી કહે છે, ‘વત્સ, આ સાગર કેટલો વિશાળ છે! જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી પાણી જ પાણી છે. આ દરિયાનાં મોજાંની લહરની આવનજાવન ભરતી-ઓટ છે એમ આપણું જીવન પણ અગાધ છે. જીવનમાં પણ દુ:ખ-સુખની આવનજાવન થાય છે.’

શિષ્ય કહે છે, ‘આપની વાત સાચી છે ગુરુજી, પણ...’

શિષ્યને વચ્ચે જ અટકાવી ગુરુજી તેને એક મરજીવો દરિયામાંથી મોતીભર્યાં છીપ સાથે બહાર આવે છે એ બતાવે છે. થોડે દૂર માછીમારો પોતાના નાનકડા હોડકામાં બેસી માછલી પકડી રહ્યા હોય છે. અમુક સહેલાણીઓ દરિયામાં જરાક આગળ જઈ પગ પલાળી ધિંગામસ્તી કરી રહ્યા છે અને એક નિરાશ યુવાન પાસેના પથ્થર નિરાશ વદને દરિયામાં ફેંકી રહ્યો હોય છે.

ગુરુજી આ બધા તરફ આંગળી ચીંધી શિષ્યને સમજાવતાં કહે છે, ‘મરજીવાને સાગરમાં ઊંડી શોધભરી ડૂબકીથી મોતી મળે છે, માછીમારો મહેનતથી દરિયામાંથી માછલી પકડી જીવનનિર્વાહ કરે છે, સહેલાણી ભીના પગ પર રેતી લઈ પાછા ફરે છે અને કિનારે બેસી રહેનારને કંઈ મળતું નથી. આ બધું દરિયામાં છે. તમારા પ્રયત્નો પ્રમાણે તમને મળે છે. એમ જીવનમાં પણ તમારાં કર્મ, તમારી મહેનત અને તમારા પ્રયત્નો પ્રમાણે તમને આનંદ, સફળતા, સંતોષ મળે છે. પ્રયત્ન જેટલા સઘન એટલું સુંદર ફળ મળે છે. જીવનસાગરમાં બધું જ છે. તમારે શું મેળવવું છે એ દિશામાં સતત પ્રયત્ન કરવા પડે. જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠